કેન્સર ચેપી રોગ છે” અને બીજી ગેરમાન્યતાઓ – સાચી હકીકત શું છે?

Pink cancer awareness ribbon with symbols representing cancer misconceptions and facts

કેન્સર વિશે ગુજરાતી પરિવારો માં ઘણી વાતો પેઢી દર પેઢી ચાલતી આવે છે – કેટલીક સાચી, પણ ઘણી ખોટી. આ ગેરમાન્યતાઓ ના કારણે દર્દી અને પરિવાર બંને ને બિનજરૂરી ડર, શરમ, અથવા ખોટા નિર્ણયો નો સામનો કરવો પડે છે.

ઓપીડી માં દર્દીઓ અને તેમના પરિવારજનો પાસેથી મને સૌથી વધુ આ ગેરમાન્યતાઓ સાંભળવા મળે છે:

  • “કેન્સર વાળા વ્યક્તિ ની નજીક બેસવાથી કે તેમના વાસણ વાપરવાથી કેન્સર ફેલાય?”
  • “બાયોપ્સી કરાવવાથી કેન્સર વધી જાય કે ફેલાય?”
  • “કેન્સર એટલે મૃત્યુ નિશ્ચિત?”

આજની વાત માં આ અને બીજી સામાન્ય ગેરમાન્યતાઓ ને સાચી તબીબી હકીકત સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ.

ગેરમાન્યતા 1: “કેન્સર ચેપી રોગ છે – તેની નજીક રહેવાથી પણ થઈ શકે”

હકીકત: કેન્સર ચેપી રોગ નથી. તે શરદી કે ફ્લૂ ની જેમ એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ માં હવા, સ્પર્શ, વાસણ, અથવા સાથે રહેવાથી ફેલાતું નથી. કેન્સર શરીર ના પોતાના કોષો માં થતાં અસામાન્ય ફેરફારો ના કારણે થાય છે.

કેન્સર વાળા વ્યક્તિ ને ગળે લગાડવું, તેમની સાથે જમવું, અથવા તેમની સંભાળ રાખવી – આમાં કોઈ જોખમ નથી. ઊલટાનું, આ સમયે પરિવાર નો સાથ દર્દી માટે સૌથી વધુ જરૂરી હોય છે.

ગેરમાન્યતા 2: “બાયોપ્સી કરાવવાથી કેન્સર ફેલાય છે”

હકીકત: આ એક ખૂબ સામાન્ય ડર છે, પણ તબીબી રીતે તે સાચું નથી. બાયોપ્સી એ કેન્સર છે કે નહીં તે નક્કી કરવા માટે નો સૌથી જરૂરી અને સલામત તબક્કો છે. યોગ્ય ટેકનિક થી કરવામાં આવેલી બાયોપ્સી કેન્સર ને ફેલાવતી નથી.

આ ડર ના કારણે ઘણા દર્દીઓ બાયોપ્સી ટાળે છે અથવા મોડી કરાવે છે – જેના થી નિદાન અને સારવાર બંને મોડા થાય છે, જે ખરેખર નુકસાનકારક છે.

ગેરમાન્યતા 3: “ખાંડ ખાવાથી કેન્સર ‘વધે’ છે, એટલે સંપૂર્ણ બંધ કરી દેવી જોઈએ”

હકીકત: આ વાત અડધી સાચી, અડધી ખોટી રીતે ફેલાયેલી છે. બધા કોષો ને (તંદુરસ્ત અને કેન્સર બંને ને) ઊર્જા માટે ગ્લુકોઝ ની જરૂર પડે છે – તેનો અર્થ એ નથી કે ખાંડ ખાવાથી કેન્સર ખાસ કરીને વધે છે. જો કે, વધુ પડતી ખાંડ અને પ્રોસેસ્ડ ખોરાક વજન વધારી શકે છે, જે એકંદરે સ્વાસ્થ્ય માટે સારું નથી. સંતુલિત ખોરાક જ સાચો રસ્તો છે, સંપૂર્ણ ખાંડ બંધ કરવી જરૂરી નથી.

ગેરમાન્યતા 4: “કેન્સર એટલે મૃત્યુ નિશ્ચિત”

હકીકત: આજ ના સમય માં કેન્સર ની સારવાર માં ઘણી પ્રગતિ થઈ છે. વહેલું નિદાન થયેલા ઘણા કેન્સર સંપૂર્ણપણે સાજા થઈ શકે છે, અને લેટ સ્ટેજ કેન્સર માં પણ સારવાર થી જીવન ની ગુણવત્તા અને સમય બંને નોંધપાત્ર રીતે વધારી શકાય છે. “કેન્સર” શબ્દ સાંભળી ને ડરવા કરતાં, વહેલા ડૉક્ટર પાસે જવું એ સૌથી મહત્વનું પગલું છે.

ગેરમાન્યતા 5: “આયુર્વેદિક કે ઘરેલુ ઉપચાર જ પૂરતા છે, હોસ્પિટલ ની સારવાર ટાળી શકાય”

હકીકત: કોઈ પણ પૂરક ઉપચાર (સંતુલિત ખોરાક, યોગ, આરામ) સારવાર ની સાથે મદદરૂપ થઈ શકે છે, પણ મુખ્ય તબીબી સારવાર ને બદલે નહીં. મુખ્ય સારવાર માં મોડું કરવાથી રોગ આગળ વધવાનું જોખમ વધે છે.

ડૉ. એક્તા ની વ્યક્તિગત નોંધ

“મને ઘણી વાર પરિવારજનો પૂછે છે કે શું તેમના બાળકો દર્દી ની નજીક રહી શકે, અથવા શું બાયોપ્સી કરાવવી સલામત છે. હું સમજું છું કે આ ડર ક્યાંથી આવે છે – વર્ષો થી સાંભળેલી વાતો પરિવારો માં ઊંડે સુધી બેસી જાય છે. પણ સાચી માહિતી હોવી એ સૌથી મોટું રક્ષણ છે. કોઈ પણ શંકા હોય, તો સંકોચ વગર પૂછો – ખોટી માન્યતા ના કારણે સારવાર માં મોડું ના થવું જોઈએ.”

ધ્યાન રાખવા જેવી બાબતો

  • કોઈ પણ લક્ષણ કે નિદાન વિશે શંકા હોય તો વોટ્સએપ ફોરવર્ડ કે સાંભળેલી વાતો ને બદલે ડૉક્ટર ને સીધા પૂછો
  • બાયોપ્સી કે તપાસ ટાળવા થી નિદાન મોડું થાય છે – વહેલું નિદાન જ સૌથી અસરકારક સારવાર તરફ દોરી જાય છે
  • પરિવાર અને મિત્રો નો ખુલ્લા મન થી સાથ દર્દી ના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનો છે

જો તમારા મન માં કેન્સર વિશે કોઈ પણ પ્રશ્ન કે ગેરમાન્યતા હોય, તો ડૉ. એક્તા વાલા  સાથે સંપર્ક કરો. એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 8866843843

WhatsApp
Facebook
LinkedIn

Get Expert Care — Schedule Your Visit Today

Dr. Ekta Vala Chandarana is a Medical Oncologist in Ahmedabad specialising in breast cancer, cervical cancer, and lung cancer. Serving patients from Ahmedabad, Surat, Vadodara, Gandhinagar and Rajkot.